કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
0૨. મધુપ્રમેહ : ઉપચાર
ડાયાબિટીસ રોગની બલા મધુપ્રમેહ
ઉપચાર જાણો - અનુસરો
ડાયાબિટીસ શું છે ?
મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ વર્ણવેલ છે. આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણોમાં મીઠી પેશાબ, અશક્તિ, ગુમડા, ગેંગ્રીન (શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો) અને ઘેન ગણાવવામાં આવ્યા છે.
લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે. અહીં થોડા પ્રશ્નો ઉભા થાય છે. ગ્લુકોઝ શું છે ? આપણા ખોરાકમાં તો રોટલી-દાળ-ભાત-શાક લેવામાં આવે છે તો આ ગ્લુકોઝ ક્યાંથી આવે છે ? જો ડાયાબિટીસના દર્દીમાં સુગર વધી જતી હોય તો પછી તંદુરસ્ત માણસમાં એ સુગર નિયત પ્રમાણમાં કઇ રીતે રહે છે ? આ બધા સવાલના જવાબ મેળવવા આપણે પાચનક્રિયા અને બ્લડ સુગરનું નિયમન કઇ રીતે થાય છે તે સમજીએ....
ખોરાક આપણને શક્તિ અને જરૂરી પોષક દ્રવ્યો જેવા કે વિટામીન્સ, મીનરલ્સ, (ક્ષાર જેવા કે આર્યન (લોહ), ઝીંક વગેરે આપે છે. ખોરાકને અલગ અલગ વિભાગમાં વિભાજીત કરી શકાય (૧) કાર્બોહાઇડ્રેટસ (સ્ટાર્ચ) (ર) પ્રોટીન્સ (૩) ચરબી (ફેટ) અથવા તૈલી પદાર્થો વગેરે.
ખોરાકમાં રહેલા આ પદાર્થો લોહીમાં ભળી ન શકે. વળી આ પદાર્થોનું શરીરના કોષ (Cell) દ્વારા ઇંધણમાં રૂપાંતર ન થઇ શકે. આથી લોહીમાં ભળી શકે અને ઇંધણમાં રૂપાંતર થઇ શકે એ માટે આપણાં જઠ્ઠર, આંતરડા તથા સ્વાદુપિંડમાંથી ઝરતા પાચકરસો દ્વારા ખોરાકનું સાદા અને લોહીમાં ભળી શકે એવા નાના અને સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે. કાર્બોહાઇડ્રેટ અથવા સ્ટાર્ચનું રૂપાંતર ગ્લુકોઝમાં, પ્રોટીન્સનું એમીનો એસીડમાં અને ચરબીનું ફેટી એસીડ તથા ગ્લીસેરોલમાં પરિવર્તન થાય છે. આ પદાર્થો નાના આંતરડામાં સહેલાઇથી લોહીમાં ભળી જાય છે અને આખા શરીરને પહોંચતા થાય છે.
ગ્લુકોઝ એ કુદરતે બનાવેલ જાદુઇ પદાર્થ છે જે દરેક પ્રાણીને શક્તિ આપે છે. આપણા માટે પણ ગ્લુકોઝ એ શરીરનું ઇંધણ છે. આપણું મગજ માત્ર ગ્લુકોઝ જ શક્તિ માટે વાપરી શકે છે. થોડી જ મિનિટો ગ્લુકોઝ જો મગજને ન મળે તો તેને નુકશાન પહોંચે. આથી આપણા શરીરના દરેક કોષને શક્તિ પુરી પાડવા અને મગજને સતત ગ્લુકોઝ મળતું રહે એ માટે શરીરમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરવામાં આવે છે. આપણે એ પ્રક્રિયાને સમજીએ જેથી ડાયાબિટીસ કઇ રીતે થાય છે તે સમજી શકાય. લોહીમાં ગ્લુકોઝની માત્રાનું નિયમન કરવામાં સ્વાદુપિંડ અને ઈન્યુલીનનો મહત્વનો ફાળો છે.