કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
ઘણીવાર મેરેજ ફંકશનમાં સામે જબરૂ મોટું બૂફે ડીનર ગોઠવેલ હોય ત્યાં અમારા ડાયાબિટીસના દર્દીના નિશ્વાસ સંભાળાય છે. "બીજા બધા રોગ સારાં પણ આ સુગર નહિં સારી.... બીજા બધા રોગની પરેજી બે-ચાર દિવસ કે મહિનો દિવસ પણ આ તો જીંદગીભરની ગુલામી..."
વાત પણ સાચી છે.... બીજા રોગ દર્દીના ખોરાક જેવી અંગત વાતમાં આવો કાયમી ઘાંચપરોણો કરતા નથી. ઘણાં દર્દીઓનાં સદ્દભાગ્યે કે દુર્ભાગ્યે : પરેજીનું "કડક" પાલન કરનાર પત્ની તેમની થાળી પર બિલાડીની જેમ તાક લગાવી બેસે છે ! આજે થોડું વધારે ડાયાબિટીસમાં ખોરાક અંગે સમજીએ.
સામાન્ય માણસનો તંદુરસ્ત ખોરાક એ જ ડાયાબિટીસના દર્દીનો ખોરાક :-
ડાયાબિટીસના દર્દીએ કોઇ "વિશિષ્ટ" ખોરાક લેવાનો નથી પણ સામાન્ય માણસ, તંદુરસ્ત રહેવા માટે જે ખોરાક લે છે તેવો જ ખોરાક લેવાનો હોય છે. આવો ખોરાક લેવા અમુક સાદા નિયમોનું પાલન કરવાનું છે.
(૧) યોગ્ય કેલેરી માત્રાવાળો ખોરાક લો :-
સામાન્ય બેઠાડું જીવન જીવતા દર્દીએ ૧૮૦૦ કેલેરીનો ખોરાક લેવો જોઇએ.આ કારણથી વધુ કેલેરીવાળો ખોરાક ન લેવો જોઇએ. સામાન્ય ખોરાકનું કેલેરી મૂલ્ય આ સાથેના ચાર્ટમાં આપેલ છે.