કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
૨૦. સારવાર
મોઢેથી લેવાની દવાઓ ક્યારે દવાઓ લેવી જરૂરી છે ?
સામાન્ય રીતે ડાયાબિટીસનું નિદાન થાય પછી દર્દીને ખોરાકની પરેજી રાખવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ જાતની કસરત, મોટેભાગે રોજનું ૪૫ મિનિટ ચાલવાની સલાહ આપવામાં આવે છે. આ બંને સૂચનાઓનું બરાબર પાલન કરવા છતાં પણ એક થી દોઢ મહિનાના ગાળામાં બ્લડ સુગર કાબુમાં ન આવે તો આવાં દર્દીઓને, ખોરાક અને કસરત ઉપરાંત મોઢેથી લેવાની ટીકડીઓ આપવામાં આવે છે.
નિયમિતતા જરૂરી છે :-
એકવાર ટીકડીઓ ચાલુ કર્યા બાદ તેની નિયમિત લેવી જરૂરી છે. થોડો વખત લઇ, સુગરનો રીપોર્ટ બરાબર આવે એટલે પોતાની મેળે દવા બંધ કરી દેવી કે ઓછી કરી દેવી બરાબર નથી. ટીકડીઓ ચાલુ કર્યા બાદ, ડોક્ટરની સલાહ મુજબ ફરીથી રીપોર્ટ કરાવી, ડોક્ટર કહે તે પ્રમાણમાં ચાલુ રાખવાની હોય છે.
"જાગતે રહો" ફરી ફરીને તપાસ જરૂરી છે !
ઘણાં દર્દીઓ દવા ચાલુ રાખે છે પણ ત્યારબાદ વર્ષો સુધી સુગર રીપોર્ટ કરાવતાં નથી કે ડોક્ટરને બતાવતા નથી. આ દવાઓની કાર્યક્ષમતામાં તેમજ દરેક દર્દીના ડાયાબિટીસના પ્રમાણમાં વધ-ઘટ થતી હોય છે. આ કારણોથી દર મહિને રીપોર્ટ કરાવી ડોક્ટરને બતાવું અને જરૂરી હોય તો દવામાં ફેરફાર કરવો જરૂરી છે.