કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
આપણાં ચંદુભાઇ ખરાને.... શેર દલાલ છે, વજન ૧૦૮ કિલો અને મોટા આસામી છે.... જોરદાર માણસ છે અને તેમને "જોરદાર" ડાયાબિટીસ વળગ્યું છે. ચંદુભાઇના એક નાના ભાઇ છે. હરીશ ભાઇ... જમીન-મકાનના મોટા દલાલ છે. ઉમર ૩૫ વર્ષ છે અને વજન ખાલી ૯૮ કિલો છે. ઇંજેકશન લે છે વાગ્યે ઉઠીને ચાલવા જાય અને થાળીમાં ગળપણ જોવે તો રાડો પાડે....હરીશભાઇ જોઇને ગભરાય...." ચંદુભાઇ, ક્યાંક મને તો ડાયાબિટીસ નહીં થાય ને...." દરેક ડાયાબિટીસના દર્દીના સગાના આ સવાલ છે કે "મને ડાયાબિટીસ ન થાય તે માટે મારે આજથી શું કરવું જોઇએ."
ડાયાબિટીસ ટાઇપ-૧ને અટકાવી શકાય ?
જાગૃત રહેવાથી ડાયાબિટીસ ટાઇપ-૧નું વહેલું નિદાન થઇ શકે છે પણ અત્યારના સંજોગોમાં, તેને અટકાવવો મુશ્કેલ છે. ભવિષ્યના વર્ષોમાં એવી રસી ઊપલબ્ધ થશે જે ડાયાબિટીસ ટાઇપ-૧ ના દર્દી બાળકોનાં ભાઇ-ભાંડેરૂઓને આપવાથી, આ રોગને થતો અટકાવી શકાશે.
ડાયબિટીસ ટાઇપ-ર ને અટકાવી શકાય ?
ડાયાબિટીસ ટાઇપ-ર, મોટી ઉંમરે થતી ચયાપચયની ક્રિયાની ખામી છે જેમાં શરીરમાં (૧) ઈન્સ્યુલીનના સ્ત્રાવની ખામી તથા (ર) ઈન્સ્યુલીનના કાર્ય સામે પ્રતિકારક જોવા મળે છે. આ રોગને સ્થૂળતા, બેઠાડું જીવન અને માનસિક તાણ સાથે સંબંધ છે, એવું જોવા મળ્યું છે.