કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
ઝાઝી કડાકૂટમાં ન પડવા ઇચ્છનાર દર્દી માટે, શ્રેષ્ઠ કસરત રોજનું ૪૫ મિનિટ ઝડપથી ચાલવું છે. ચાલતી વખતે ઉંડા શ્વાસ લેવા, વાતો ન કરવી કે ઉભા ન રહેવું. લગભગ પ કિ.મી. ઝડપથી, થોડા ધબકારા વધે તે રીતે ચાલવું જોઇએ. ચાલવામાં નિયમિતતા ખુબ જરૂરી છે. બને તો દિવસના નક્કી સમયે, અઠવાડિયામાં ૫ થી ૬ દિવસ ચાલવું જોઇએ. વધુ કામનો બોજો ધરાવનાર વ્યક્તિ, જ્યારે સમય મળે ત્યારે ચાલવા જઇ શકે છે. સામાન્ય રીતે વહેલી સાવરે અને રાત્રે વાળુ બાદ અડધી કલાક બાદ ચાલવું સારૂ છે. ચાલતી વખતે ખુલતા કપડાં અને પગમાં યોગ્ય ફીટીંગવાળા એડી વગરના રબરના બુટ કે મોજડી પહેરવાં જરૂરી છે.
જમ્યા બાદ તુરંત જ કે સાવ ખાલી પેટે કે ડાયાબિટીસની દવા ઈન્સ્યુલીન લઇને તરત ચાલવું યોગ્ય નથી. ચાલવા જતી વખતે દર્દીએ ખીસ્સામાં ખાંડની પડીકી કે પીપરના ચાર ગોળાં કે બિસ્કીટનું પેકેટ સાથે રાખવું જોઇએ. જેથી સુગર ઘટે તો તુરંત લઇ શકાય.
અન્ય કસરતો :-
સાયકલીંગ (રસ્તા ઉપર કસરતની સાઇકલ ચલાવવી) દોડવું, દોરડા કુદવા, જીમની કસરતો, તરવું, ટેનિસ વગેરે રમતો રમવી, એરોબીક નૃત્યો કરવા, આ બધી કસરતો ડાયાબિટીસના દર્દી માટે સારી છે.
ખાસ પરિસ્થિતિમાં કસરત :-
(૧)હૃદયરોગ :- જે ડાયાબિટીસના દર્દીઓને હૃદયની તકલીફ હોય કે એટેક આવ્યો હોય તેમણે ડોક્ટરની સલાહ મુજબના પ્રમાણમાં જ કસરત કરી શકાય. ઘણીવાર એ માટે કોર્ડીયોગ્રામ ટીએમટી વગેરે ટેસ્ટ પણ કરવા જરૂરી બને.
(ર)ડાયાબિટીક ફ્રુટ : જેમને પગમાં ધારૂ હોય કે સોજો હોય અથવા પગની ગંભીર તકલીફ હોય એવા દર્દીઓને પગની કસરત ન કરવી જોઇએ.
(૩)ગોઠણની ગાદી ઘસાઇ જવી :- આ એક સામાન્ય પરિસ્થિતિ છે. ઘણાં બધાં ડાયાબિટીસના દર્દીઓને સાથે સાથે ગોઠણની તકલીફ (Osteoarthritis)હોય છે. આવાં દર્દીઓને ચાલવાં કરતા સાઇકલીંગ કે હાથની કસરતની સલાહ આપવામાં આવે છે.
(૪)આ ઉપરાંત આંખના પડદાની તકલફી કે કીટોએસીડોસીસ જેવી તકલીફો હોય ત્યારેકસરત ન કરવાની સલાહ આપવામાં આવે છે.
ડાયાબિટીસમાં કસરત કરતી વખતે શું ધ્યાનમાં રાખશો?
(૧)કસરતની બ્લડ સુગર ઘટે છે માટે સાવ ખાલી પેટે કે ડાયાબિટીસની દવા/ઈન્સ્યુલીન લઇને તુરંત કસરત માટે ન જશો. હળવો ખોરાક કે જયુસ લઇને ત્યારબાદ કસરત માટે જવું હિતાવહ છે.
(ર)કસરત દરમિયાન છાતીમાં દુઃખાવો થાય, ગભરામણ થવા લાગે કે ખુબ નબળાઇ લાગે, અતિ પરસેવો થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો ઘણીવાર તો હૃદયરોગની શરૂઆતની નિશાનીઓ હોય છે.
ડાયાબિટીસમાં યોગનું મહત્ત્વ :-
ડાયાબિટીસમાં યોગથી સારો ફાયદો થાય છે. ખાસ કરીને ભૂજંગાસન, મયુરાસન, પશ્ચિમોમાં તાનાસન જેવા આસનો, ઘ્યાનઅને પ્રાણાયામ જેવી યોગીક ક્રિયાઓનું પણ મહત્ત્વ છે. આ આસનો અને ક્રીયાઓ કોઇ સારા યોગ-શિક્ષણ પાસે શીખવા જરૂરી છે. યોગ એ ચાલવાનો, ખોરાકની પરેજીનો કે તમારી સારવારનો વિકલ્પ નથી એ ખાસ ધ્યાન રાખશો. આ બધું ચાલું રાખતાં વધારામાં યોગ કરી શકો તો જ કરશો. ટીવી પર યોગને જોઇને અડધો પડધા શીખીને દવાઓ બંધ કરવાની ભુલ ન કરશો. આવી ભુલથી ઘાતક પરિણામ આવી શકે છે.