કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
૧૫. ડાયાબિટીસની સારવાર
ડાયાબિટીસમાં ખોરાક, મુળભૂત સિદ્ધાંતો :-
ડાયાબિટીસ ખરા અર્થમાં જીવન શૈલીનો રોગ છે. એટલાં જ માટે ડાયાબિટીસની સારવાર માટે બે-ચાર ટીકડીઓ ગળવાથી કામ પુરૂ થતું નથી.
ડાયાબિટીસના દર્દીએ સારા કાબૂ સારા કાબૂ માટે ખોરાક, કસરત અને દવાઓ, ત્રણેય પાસા પર એક સાથે ધ્યાન આપવું પડે છે. જેમ સરકસનો જોકર એક સાથે ત્રણ દડાને સાચવે છે. એવો કંઇ ખેલ કરવો પડે છે.
ડાયાબિટીસની સારવારમાં ખોરાકની પરેજી સૌથી પહેલી છે અને ખૂબ અગત્યની છે. આ પરેજી વિષે વિગતવાર જાણીએ.
ડાયાબિટીસમાં ખોરાકની પરેજી શા માટે ?:-
ડાયાબિટીસની સારવારમાં સૌથી પહેલું પગલું ખોરાક છે. ખોરાકમાં જો પરેજી પાળવામાં નહીં આવે તો દવા મદદ ન કરી શકે. ખોરાકમાં પરેજી પાળવાથી ડાયાબિટીસનો સારો કાબૂ થઇ શકે છે.
કેલરી શું છે.
ખોરાક આપણે શક્તિ અને જરૂરી પોષક તત્વો જેવા કે વિટામીન્સ અને મીનરલ્સ આપે છે. ખોરાકનું પાચન થયા પછી તેનું શરીરમાં શક્તિમાં રૂપાંતર થાય છે. જે રીતે પૈસો માપવાનું એકદમ રૂપિયો છે. તેમ શક્તિ માપવાનું એકમ કેલરી છે.