કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
ડાયાબિટીસની વિષમતા : હૃદય રોગ
ઘણાં ડાયાબિટીસના દર્દીઓ વારંવાર એક જ વાત કહે છે. "મારૂ સુગર તો ૩૦૦ની ઉપર જ રહે છે, તેમ છતાં મને કોઇ તકલીફ થતી નથી...." આપણા આ દર્દી મિત્રોનો ખ્યાલ ખોટો છે કેમ કે ડાયાબિટીસ, જ્યારે કાબુમાં ન હોય ત્યારે (૧) હૃદયરોગ (૨) આંખની પડદાની ખરાબી (૩) કિડનીની તકલીફ (૪) જ્ઞાનતંતુની તકલીફ (પ) પગનો સડો (૬) નપુંસકતા (૭) આંતરડાની મંદ ગતિ
એવી ઘણી વિષયમતાઓને નોતરે છે. જેમ કપડાની જાહેરાતમાં આવે છે "એક સાથે ત્રણ મફત..." એમ ડાયાબિટીસ પોતાની સાથે બીજા ત્રણ-ચાર રોગોને લઇને આવે છે. આજે આપણે આવી એક વિષયમતા હૃદયરોગ વિશે જાણીએ.
હૃદય રોગ
ડાયાબિટીસના દર્દીને હૃદયરોગ થવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે. એટલું જ નહિં, ડાયાબિટીસના ૮૦% દર્દીઓ હૃદયરોગના હુમલાથી જ મૃત્યુ પામે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાને(WHO) જાહેર કર્યું છે કે દરેક ડાયાબિટીસનો દર્દી હૃદયરોગનો દર્દી છે અને તે એક હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેટલું જોખમ ધરાવે છે.