કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
૨૩. બેભાન અવસ્થા
ડાયાબિટીસમાં બેભાનવસ્થા
આપણા ચંદુભાઇ હમણાં નાની તકલીફમાં મુકાઇ ગયા... ડાયાબિટીસ તો હતું જ વળી ગુમડું થયું તાત્કાલિક કાબુ માટે ડોક્ટરે સવારે-રાત્રે ઈન્સ્યુલીનનાં ઇંજેકશન ચાલુ કર્યા. ચંદુભાઇએ સવારે ઇંજેકશન લીધું અને નાસ્તો કરવા બેસતા હતાં.
ત્યાં બાજુના મકાનવાળા ગિરધરભાઇ એકાએક એટેકમાં અવસાન પામ્યા. નાસ્તો એક બાજુ રહ્યો અને તાત્કાલિક સ્મશાન જવાનું થયું. સ્મશાનમાં જ બે કલાક બાદ ચંદુભાઇને પરસેવો વળવા લાગ્યો અને મગજ ચક્કરાવા લાગ્યું.
ચંદુભાઇ બેભાન થઇ ઢળી પડવાની તૈયારીમાં હતાં ત્યાં તેમના મિત્ર હરીભાઇનું ધ્યાન ગયું.
હરિભાઇને પોતાને ડાયાબિટીસ એટલે એ સમજી ગયા બહાર રેકડીમાંથી ડબલ ખાંડવાળાં બે લીંબુ શરબત લાવીને પાયુંઅને એક ગ્લુકો બિસ્કીટનું પેકેટ ખવડાવ્યું. આટલું કર્યા બાદ ચંદુભાઇ પાછા સ્વસ્થ થયાં. ડાયાબિટીસનો દર્દી બેભાન થઇ જાય અથવા અર્ધભાનમાં આવી જાય એ એક મેડીકલ ઇમરજન્સની સ્થિતિ છે. આ સ્થિતિના ડાયાબિટીસને લગતાં બે કારણો હોઇ શકે.
(૧) લોહીમાં સુગર ખુબ ઘટી જવી.
(ર) લોહીમાં સુગર ખુબ વધી જવી.
ડાયાબિટીસના દર્દીનાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય એટલે કે લોહીમાં ૭૦ મી.ગ્રા. થી નીચે ગ્લુકોઝ હોય તો તે પરિસ્થિતિને હાયયોગ્લાયસેમિયા કહેવામાં આવે છે. આપણું મગજ અને ચેતાતંત્રને શક્તિ માત્ર ગ્લુકોઝથી મળે છે. આથી ગ્લુકોઝ લોહીમાં ઓછો થાય અને તે પરિસ્થિતિ લાંબો સમય રહે તો દર્દી કોમામાં જાય છે. વળી જો તુરંત સારવાર ન મળે તો મગજને નુકશાન અને મૃત્યુ પણ થઇ શકે તેથી લોહીમાં ગ્લુકોઝ પ્રમાણ ઘટવું એ એક ઇમરજન્સી છે.